સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.
પ્રસ્તુત પુસ્તક માત્ર એક જ હેતુથી લખાયું છે કે આ ફાંસીએ ચડેલા આઝાદીના સાચા યોદ્ધાઓ હતા. તેમને અને તેમના પરિવારે જે સહન કર્યું તેટલું બીજા કોઈએ પણ સહન કર્યું નથી. અહિંસાવાદી આંદોલનકારીઓમાંથી કોઈને ફાંસી થઇ હોય તેવું સાંભળ્યું નથી. તેમને થોડાઘણા સમયની જેલ થઇ છે બાકી તેમના ઉપર કોઈ ભીષણ અત્યાચાર થયા હોય તેવું પણ સાભળ્યું નથી, પણ તેમની મહત્તા જરાય ઓછી થતી નથી. તે બધા પણ મહાન જ છે, વંદનીય છે, પણ ફાંસીએ લટક્નારા આ ક્રાંતિવીરોને ભૂલી ન શકાય. ગુલામીને નવ્વાણું ટચકા તેમણે જ માર્યા હતા તે ભૂલાવું ન જોઈએ.